મારી બનાસકાંઠા ટ્રીપ દરમ્યાન મેં ગુજરાતનું જૂનું પાટનગર પાટણની પણ મુલાકાત લીધી, ત્યાં પ્રવેશતા જ અમે સિદ્ધરાજ જયસિંહની મૂર્તિ ને નમસ્કાર કર્યા અને અમે રાણકી વાવ તરફ ગયા. મારો પાટણનો અનુભવ અને અવલોકન કંઈક આવું રહ્યું,
* કેહવાય છે 11મી સદીમાં રાણી ઉદયમતી એટલે કે મૂળરાજ સોલંકીના પુત્ર ભીમદેવ પહેલાની પત્નીએ પ્રજાની સગવડતા માટે આ વાવ બંધાવી હતી, આના પરથી સમજી શકાય છે કે 11 મી સદીમાં પણ સ્ત્રીઓ આવા મોટા કામ કરતી હતી અને મહત્વના નિર્ણયો લેતી હતી એટલે તમને કદાચ એવું લાગતું હોય કે અમારા ઘરમાં તો લેડીઝનું જ બધું ચાલે છે તો એમાં કંઈ નવુ નથી, 11મી સદીથી ચાલ્યું આવે છે એટલે તમારા ઘરમાં એવું હોય તો એ ગૌરવ ની વાત છે,
* વરસો પેહલા સરસ્વતી નદીનાં પુરમાં આ વાવ દટાઈ ગઈ હતી પણ 1968માં આપણાં ભારતીય પુરાતત્વ ખાતાએ વાવને શોધી અને જરૂરી સમારકામ કરાવ્યું,
* આ સાત માળ ઊંડી વાવ જોતા જોતા હું વિચારોના ઊંડાણમાં જતી રહી કે આટલું અદ્ભૂત બાંધકામ, એક એક ચડિયાતી કલાત્મક કારીગરી, સુંદર પ્લાનિંગ, ઝીણવટભર્યું અને આટલું મસ્ત માસ્ટરપીસ રાણીએ કેવી રીતે બનાવડાવ્યું હશે? , એમને ક્યાંથી મેનેજમેન્ટ નો કોર્સ કર્યો હશે? એમના આર્કિટેક્ચર કઈ કોલેજમાં ભણ્યા હશે? આવા અનેક સવાલોના ઊંડાણમાં હું જતી રહી,
* આ વાવમાં મેં ઘણી બધી મૂર્તિઓ જોયી જેમ કે મહિષાસુર મર્દીની, કલ્કી અવતાર, ભૈરવ, ગણેશ, કુબેર, લક્ષ્મીનારાયણ, શિવજી, પાર્વતી માતા, વિષકન્યા, વરાહ અવતાર અને અનેક સુંદર અપ્સરાઓ ને કંડારેલા હતા. એના સિવાય એકદમ આકર્ષી જવાય એવી સુંદર કોતરણી પણ જોયી,
* પછી અમે ત્યાં શાંતિથી બેઠા અને જગ્યાનાં વાઈબ્સ ફીલ કર્યા, બીજા બધા લગભગ ફોટા પાડવામાં બિઝી હતા એમને જોઈને વિચાર્યું કે આ બધા પણ શાંતિ થી બેસે તો સારું,
* પછી અમે વાવનો ઉપરથી વ્યૂ જોયો, આજુબાજુ સરસ ગાર્ડન છે એમાં ટહેલતા ટહેલતા મેં થોડાં ફૂલ અને પંખીઓ ને જોયા,
* રાણકી વાવ આખા ભારતની સર્વશ્રેષ્ઠ વાવ તરીકે ઘોષિત થયેલી છે અને હવે તો યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઈટમાં પણ એનો સમાવેશ થયેલો છે,
* ત્યાંથી અમે સહસ્ત્રલિંગ તળાવ ગયા, ત્યાં થોડું ફર્યા. પાટણમાં બીજા ઘણા જોવાલાયક દેરાસરો અને મંદિરો આવેલા છે,
* આમતો પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે પણ એ છેલાજી લાવે ને તો જ શોભે એટલે મેં પટોળાની શોપિંગ નથી કરી,
તો આવી હતી મારી પાટણની અને રાણકી વાવની મુલાકાત, હવે મને સમજાયું કે કનૈયાલાલ મુનશીની નવલકથા પાટણની પ્રભુતાની ગેહરાઈ કેટલી છે અને રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા એ તો 2018 માં આવેલી આપણી નવી 100 ની નોટની પાછળ પણ રાણકી વાવ નો સમાવેશ કરેલો છે તો તમે પણ ના ગયા હોવ તો ચોક્કસ એક વાર જઈ આવજો.
ખાસ નોંધ: તમે ત્યાં જાઓ ત્યારે શાંતિથી થોડી વાર અચૂક બેસજો, ફોટા મારા પાડેલા લઈ લેજો ( પીક ક્રેડિટ આપવાની જરૂર નથી) પણ તમે શાંતિથી ફરજો. એક વાત વિચારજો તમારા 40-50 ફોટા તમે પાડો એ જોવામાં કોણે રસ હોય?, જેને તમારામાં રસ હોય એને તમારા ફોટા કરતા તમને જોવામાં વધારે રસ હોય એટલે આટલી મેહનત ના કરશો, મસ્ત ફરજો, બધું જોજો અને મને કહેજો તમારો અનુભવ કેવો રહ્યો. બીજી ખાસ વાત યાદ રાખજો રાણી ભલે ત્યાં હાજર નથી પણ એમને આ વાવ દિલથી બંધાવી હશે એટલે તમે ત્યાં કચરો ફેંકશો તો રાણી ગુસ્સો કરશે એટલે ધ્યાન રાખજો.
ફોટા- Click Here
વિડિઓ સ્ટોરીઝ – Click Here
આવી જ બીજી હરવા ફરવાની વાતો કરતી રહીશ.
ખૂબ પ્રેમ સાથે,
પંક્તિ